- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હી : દેશમાં ઘઉંનું ઓછું ઉત્પાદન અને ઉંચા ભાવને કારણે સરકાર જૂન મહિનામાં તેની નિકાસ પર કેટલાંક નિયંત્રણો કે અંકુશો લાદી શકે છે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બજાર ભાવ ઉંચા રહેવાથી સરકાર દ્વારા બફર સ્ટોક માટે ટેકાના ભાવે ઘઉંની પ્રાપ્તિ 444 લાખ ટનના લક્ષ્યાંકથી લગભગ અડધી 195 લાખ ટન રહી છે. ભયંકર ગરમીને કારણે ચાલુ રવી સીઝનમાં ઘઉંનું ઉત્પાદન ઘટીને 10.5 કરોડ ટન રહેવાનો અંદાજ છે જ્યારે ગત વર્ષે 10.96 લાખ ટન પાક થયો હતો.
વિવિધ મંત્રાલયોના અધિકારીઓએ જણાવ્યુ કે, પરિસ્થિતિ પર બાજ નજર રાખવામાં આવી રહી છે અને જ્યારે જરૂર પડશે ત્યારે નિયંત્રણો લાદવામાં આવશે અને તેમાં જૂનના મધ્ય સુધીના સરકારી પ્રાપ્તિના આંકડા મહત્વપૂર્ણ રહશે.
ઘઉંના ભાવ વધતા તેના લોટની સરેરાશ કિંમત રૂ. 32.91 પ્રતિ કિગ્રા પહોંચી ગઇ છે જે ગત વર્ષની તુલનાએ 13 ટકા ઉંચી છે. 8 મે, 2021ના રોજ લોટની કિંમત રૂ. 29.14 હતી.
વેપારી સુત્રોના જણાવ્યા મુજબ ભારતે એપ્રિલ મહિનામાં 14 લાખ ટન ઘઉંની નિકાસ કરી છે. રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળતા ત્યાંથી ઘઉંની સપ્લાય અટકતા દુનિયાભરના આયતકાર દેશો ભારત તરફ ફંટાયા છે. વધતી નિકાસ માંગ વચ્ચે મે મહિનામાં દેશમાં 15 લાખ ટન ઘઉંની નિકાસ થવાની અપેક્ષા છે. એપ્રિલ 2021માં માત્ર 2,42,857 ટન ઘઉંની નિકાસ કરાઇ હતી.