- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
નવી દિલ્હી: નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારથી તેમની નિકટ રહેલા એક સનદી અધિકારી અરવિંદ કુમાર શર્માએ ઓચિંતું વીઆરએસ લીધું હતું. હજુ તેમની નોકરી પૂરી થવાને બે વર્ષની વાર હતી. એક વાત એવી હતી કે નરેન્દ્ર મોદી અરવિંદ કુમાર શર્માને ઉત્તર પ્રદેશમાં કોઇ મોટી જવાબદારી સોંપવાના હતા. એક વાત એવી પણ હતી કે કદાચ અરવિંદ કુમાર ભાજપના સભ્ય બની જશે. 2022માં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ઉત્તર પ્રદેશમાં દલિત મતબેંક અંકે કરવા દલિતને ડેપ્યુટી મુખ્ય પ્રધાન બનાવવાની લાલચ આપવા સુધીનું પગલું લેવાઇ શકે છે.
એક સૂત્રે કહ્યા મુજબ અરવિંદ કુમાર શર્માની કામ કરવાની રીત મોદીને ખૂબ પસંદ છે. ગયા સપ્તાહે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં અરવિંદ કુમાર શર્માને ઉત્તર પ્રદેશમાં મોટી જવાબદારી સોંપવાની વાત થઇ હતી. યોગી અને મોદીની બેઠક પછી શર્માએ વીઆરએસ લેવાની જાહેરાત કરી હતી એ સૂચક છે. મોદીને લો પ્રોફાઇલ અધિકારીઓ વધુ પસંદ છે અને એ બાબતમાં મઉના શર્મા એકદમ ફિટ બેસે છે.
જાણકાર સૂત્રોના કહેવા મુજબ ઉત્તર પ્રદેશને ભવિષ્યમાં ત્રીજા નાયબ મુખ્ય પ્રધાન પણ મળી શકે છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં દલિત વર્ગ સાથે જોડાયેલી જનજાતિઓએ ભાજપને બહુ મોટો સાથ આપ્યો હતો. આગામી ચૂંટણીમાં તમામ દલિલ જનજાતિઓનો સહકાર મેળવવા ભાજપ ઉત્સુક છે. એ માટે તેમને નાયબ મુખ્ય પ્રધાનપદની ઑફર કરવામાં આવે એવી શક્યતા નકારી કઢાતી નથી.
અરવિંદ કુમાર શર્મા આ કાર્યમાં ભાજપને મદદ કરશે. એમની પોતાના સમાજ પર સારી એવી વગ છે. એ ભાજપમાં જોડાઇ જાય ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીની પૂર્વતૈયારી શરૂ થવાની શક્યતા છે. શર્મા દલિત સમાજને ભાજપ તરફ લઇ આવે એવી વડા પ્રધાનની યોજના હોવાનું મનાય છે.